બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત 'દિશા' (DISHA) કમિટીની મહત્વપૂર્ણ બેઠક સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં કામોની ગુણવત્તા અને ખેડૂતોના પડતર પ્રશ્નો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.બેઠક દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારી કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે બાબતે કડક વલણ અપનાવ્યું હતું.
વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી
ગેનીબેન ઠાકોરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જિલ્લામાં થઈ રહેલા વિકાસકાર્યોમાં જો કોઈ ખામી જણાશે તો તેની તપાસ માટે ખાસ રીચેકિંગ કમિટીની રચના કરવામાં આવશે.માત્ર કાગળ પર ચાલતા કામો નહીં. પરંતુ પ્રત્યક્ષ સ્થળ તપાસને વધુ મહત્વ આપવામાં આવશે.જો જરૂર જણાશે તો ચૂંટાયેલા પદાધિકારીઓ પોતે સ્થળ મુલાકાત કરી કામોની ચકાસણી કરશે.આ સમગ્ર મામલે તેમણે જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરીને કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી હતી.













