અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અંકલેશ્વરના પોશ ગણાતા ગાર્ડન સિટી રોડ પરથી વહેલી સવારે બે સગી બહેનો નિયમિત મુજબ પોતાના ટ્યુશન ક્લાસીસ તરફ જઈ રહી હતી. આ માસૂમ બાળકીઓ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ અચાનક એક ફોર-વ્હીલર કાર તેમની સામે આવીને ઉભી રહી ગઈ હતી. કારમાંથી ઉતરેલા શખ્સોએ કંઈ પણ પૂછ્યા કે સમજ્યા વગર આ બંને બહેનો પર તૂટી પડ્યા હતા.

જાહેરમાં દીકરીઓ પર થતા હુમલો

આરોપીઓએ કાયદાનો સહેજ પણ ડર રાખ્યા વિના જાહેરમાં રસ્તાની વચ્ચે જ ક્રિકેટના બેટ અને ચંપલ વડે બંને બહેનોને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલો એટલો ભયાનક હતો કે બાળકીઓ પોતાની જાતને બચાવવા માટે ચીસાચીસ કરી રહી હતી. આ સમગ્ર ઘટના નજીકની સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે નરાધમો સગીર વયની દીકરીઓને નિર્દયતાથી ફટકારી રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલા પાછળ મુખ્ય સૂત્રધાર ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમ સિંગ જેસર છે, જેણે પોતાના પિતાની ઉશ્કેરણીથી આ કૃત્ય આચર્યું હતું. આ ગંભીર ગુનામાં ગુરુદેવની માતા, દાદી અને તેની દીકરીએ પણ સક્રિય ભૂમિકા ભજવી હોવાનો ગંભીર આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે.

પિતાની ઉશ્કેરણીથી આ કૃત્ય આચર્યું

પોલીસ એક્શન: સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તાકીદે એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમ સિંગ જેસર અને તેની પત્નીને દબોચી લીધા છે. આ ઉપરાંત, પોલીસે હુમલાખોરો દ્વારા રસ્તો રોકવા માટે વાપરવામાં આવેલી લક્ઝરી ફોર-વ્હીલર કાર અને દીકરીઓને મારવા માટે ઉપયોગમાં લેવાયેલું ક્રિકેટ બેટ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરી લીધા છે. પોલીસ હાલ પરિવારના અન્ય ફરાર સભ્યો (માતા અને દાદી) ને પકડવા માટે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી રહી છે.

આ પણ વાંચો: Bhavnagar: ચાંદીપુરા વાયરસથી પ્રથમ માસૂમનું મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ, મેલાણા ગામના 9 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો