ગુજરાતમાં વરસાદના એક રાઉન્ડ બાદ ચોમાસુ નબળુ પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં ફરીવાર વરસાદે મહેર શરૂ કરી છે. ત્યારે પશુપાલકોને ઓછા વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઘાસચારાનો અભાવ હોવાથી પશુઓને ચરાવવા માટે મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આ માટે રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના પશુપાલકો માટે મોટો નિર્ણય લીધો છે.
પશુપાલકોને રાહત આપવાનો નિર્ણય લેવાયો
ગુજરાત સરકારે કચ્છ જિલ્લાના પશુપાલકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. કચ્છ પંથકમાં પ્રવર્તી રહેલી અછતની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સ્થાનિક પશુપાલકોને આર્થિક કટોકટીમાંથી ઉગારવા અને મોટી રાહત આપવા માટે સત્તાવાર જાહેરાત કરી છે. આ કપરા સમયમાં પશુપાલકો પોતાના પશુધનને સરળતાથી સાચવી શકે તે માટે સરકાર લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો બાદ એક્શન મોડમાં આવી છે. સરકાર દ્વારા લેવાયેલા આ લોકહિતના નિર્ણય અંતર્ગત, અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોને પશુદીઠ પ્રતિ દિવસ 4 કિલો ઘાસ રાહત દરે પૂરું પાડવામાં આવશે.
