બોટાદ શહેરના ભાંભણ રોડ પર આવેલી અક્ષરવાડી-2 સોસાયટીમાં આજે એક મકાન ધરાશાયી થવાની દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અહીં આવેલા એક જૂના મકાનના ઉપરના માળે નવા રૂમ કે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન મકાનનું માળખું અચાનક નમી પડ્યું હતું અને જોતજોતામાં આખું મકાન ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું.

ભાંભણ રોડ પર અક્ષરવાડી-2 માં મકાન ધરાશાયી 

ઘટના બની ત્યારે મકાનની અંદર કામ કરી રહેલા 2 મજૂરો અને પરિવારના 2 સભ્યો મળીને કુલ 4 લોકો હાજર હતા. સદનસીબે, મકાન પડવાનો અવાજ આવતાં જ તમામ લોકો તાત્કાલિક બહાર દોડી જતાં મોટો અનર્થ ટળ્યો હતો અને ચારેય લોકોનો આબાદ બચાવ થયો હતો. મકાન ધરાશાયી થવાને કારણે પરિવારની વર્ષોથી વસાવેલી તમામ ઘરવખરી, ટીવી, ફ્રિજ, કપડાં અને અનાજ સહિતનો સામાન કાટમાળ નીચે દટાઈને સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ પરિવારને રૂ. 10 લાખથી વધુનું આર્થિક નુકસાન પહોંચ્યું છે.

છત છીનવાતાં પરિવાર નિરાધાર

પોતાની સામે જ આખું ઘર જમીનદોસ્ત થતું જોઈને મકાન માલિક મહિલાને ભારે આઘાત લાગ્યો હતો અને તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. જે બાદ સ્થાનિકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. મકાન સાથે છત અને રહેવાનો આશરો પણ છીનવાઈ જતાં પીડિત પરિવારે અત્યંત દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "અમારું બધું જ પૂરું થઈ ગયું છે, હવે અમારો આખો પરિવાર માત્ર ભગવાન ભરોસે છે."

આ પણ વાંચો: Mehsana: મિર્ચી ફાસ્ટ ફૂડ પર ફૂડ વિભાગનો દરોડો, પોપકોર્નમાંથી જીવાત મળતાં આઉટલેટ બંધ કરાવાયું