ગુજરાત વિધાન સભાના ઈતિહાસમાં સૌથી સીનિયર અને કદાવર આદિવાસી નેતાઓ પૈકીના એક એવા પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવા હવે આપણી વચ્ચે નથી રહ્યા. 82 વર્ષની જૈફ વયે લાંબી બીમારી બાદ આજે તેમનું નિધન થયું છે. તેમના અવસાનથી છોટાઉદેપુર અને પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોએ પોતાનો સાચો અને મજબૂત અવાજ ગુમાવ્યો છે. મોહનસિંહ રાઠવા માત્ર એક રાજકારણી નહોતા, પરંતુ તેઓ આદિવાસી સમાજના સામાજિક ઉત્થાન અને વનબંધુઓના અધિકારો માટે સતત લડનારા જનતાના સાચા પ્રતિનિધિ હતા.

10 વખત ધારાસભ્ય બનવાનો ઐતિહાસિક રેકોર્ડ

મોહનસિંહ રાઠવાની રાજકીય કારકિર્દી એટલી ભવ્ય રહી છે કે તેની બરાબરી કરવી કોઈ પણ રાજનેતા માટે અશક્ય છે. તેઓ વર્ષ ૧૯૭૨ માં પહેલીવાર સંસ્થા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ બદલાતા રાજકીય પ્રવાહો વચ્ચે પણ જનતાનો તેમના પરનો ભરોસો ક્યારેય ડગ્યો નહીં. તેઓ ૧૯૭૫માં સંસ્થા કોંગ્રેસ, 1980 અને 1985માં જનતા પાર્ટી, 1990 માં જનતા દળ, 1995 માં જનતા દળ ગુજરાત અને ત્યારબાદ 1998, 2007, 2012અને 2017 માં કોંગ્રેસ પક્ષમાંથી સતત ધારાસભ્ય પદે ચૂંટાતા આવ્યા હતા. ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી તરીકે કાર્યકાળ સંભાળી તેમણે વનવાસીઓ માટે અનેક કલ્યાણકારી નિર્ણયો લીધા હતા.

સંપૂર્ણ વિસ્તારમાં શોકનું મોજું

લાંબા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે તેઓ સક્રિય રાજકારણથી થોડા દૂર હતા, પરંતુ તેમનું માર્ગદર્શન પક્ષના તમામ યુવા નેતાઓને મળતું રહેતું હતું. તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે છોટાઉદેપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી માનવમહેરામણ ઉમટી પડવાની શક્યતા છે. રાજ્યના મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતાઓ અને સામાજિક અગ્રણીઓએ મોહનસિંહ રાઠવાના નિધનને ગુજરાતના જાહેર જીવનની એક મોટી અને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ ગણાવીને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આ પણ વાંચો: Gandhinagar News: ભાટ કેબલ સ્ટેડ બ્રિજનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, બે લાખ વાહનચાલકોને ફાયદો થશે