છોટાઉદેપુરના કવાંટ તાલુકાના મોટી ઝડુલી ગામે દુર્ઘટનામાં બે બાળકીઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે.ગામમાં આવેલી પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે પાણી ભરાઈ ગયું હતું.જેમાં રમતા-રમતા આ બાળકીઓ અચાનક ખાડામાં પડી ગઈ હતી.પાણીના ઊંડા ખાડામાં ગરકાવ થઈ જતાં બંને બાળકીઓના મોત નિપજ્યા છે.આ ગંભીર દુર્ઘટના બાદ સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.કારણ કે બનાવના 3 કલાક સુધી કોઈ જવાબદાર અધિકારી ઘટનાસ્થળે ન ડોકાતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

પિતાએ ન્યાય અને યોગ્ય વળતરની માંગ કરી

પરિવારજનોના આક્રંદ વચ્ચે મૃતક બાળકીઓના પિતાએ ન્યાય અને યોગ્ય વળતરની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.પીડિત પિતાએ આ મામલે કડક તપાસની માંગ કરતા 1 કરોડ રૂપિયાની આર્થિક સહાયની માંગણી કરી છે.રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.તેમણે આ સમગ્ર દુર્ઘટના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની જોરદાર માંગ કરી છે.

રાજ્યસભાના સાંસદે પણ કાર્યવાહી માટે માગ કરી

પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અહીં આ બાબતે ધ્યાન આપતા નથી જેના કારણે અલગ અલગ જગ્યા ઉપર લીકેજ થયું છે અને તપાસ કરતા એ ધ્યાનમાં આવશે ચોક્કસપણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી થાય એવા પ્રયત્નો કરીશું .પાણી પુરવઠા વિભાગના મંત્રી સાથે પણ આ બાબતે વાત કરી છે. આ ઘટનાથી ગામ અને આખો વિસ્તાર દુઃખી છે અને સાથે આક્રોશ પણ છે

આ પણ વાંચોઃ Gujarat Weather: આજે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઉમરગામમાં સૌથી વધુ 1.26 ઇંચ વરસાદ નોંધાયો