અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા બ્રિજ પાસેથી એક અત્યંત સંવેદનશીલ અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં બ્રિજ નજીક બિનવારસી હાલતમાં એક તાજી જન્મેલી જીવિત બાળકી મળી આવી હતી. બાળકીને જન્મ બાદ તરત જ તરછોડી દેવામાં આવી હોય તે રીતે ગર્ભનાળ (મેલી) સાથે જ જાહેરમાં ફેંકી દેવામાં આવી હતી. આ બાબત સ્થાનિક રહીશો અને રાહદારીઓના ધ્યાને આવતાં તેમણે તુરંત જ બાવળા પોલીસ તેમજ 108 ઇમરજન્સી ટીમને જાણ કરી હતી.
108 ની ટીમે સ્થળ પર પ્રાથમિક સારવાર આપી
બનાવ અંગેની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. 108 ના તબીબી સ્ટાફે ત્વરિત કામગીરી દાખવીને નવજાત બાળકીને સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી. સદનસીબે સમયસર સારવાર મળી જતાં બાળકી હાલ તંદુરસ્ત અવસ્થામાં છે. ત્યારબાદ વધુ સંભાળ અને આઈસોલેશન માટે બાળકીને બાવળા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સરકારી હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવી હતી.
