કચ્છ જિલ્લામાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોવાની વધુ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ હેઠળ આવતા વાયોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ વિરુદ્ધ ભુજ એસીબીમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, એક ફરિયાદીની ફેક્ટરી નિયમબદ્ધ રીતે ચાલુ રાખવા દેવા માટે તેમજ ફેક્ટરી સંબંધી કોઈ કેસ કે તપાસમાં ખોટી રીતે હેરાનગતિ ન કરવાના બદલામાં પીએસઆઈ ગોહિલે ગેરકાયદેસર રીતે રૂ. 50,000/- ની લાંચની માંગણી કરી હતી.

જાગૃત નાગરિકની હિંમત અને એસીબીની જાળ

ફરિયાદી પોતે લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે હિંમત દાખવીને એન્ટી કરપ્શન બ્યુરોના સત્તાવાર ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. ફરિયાદના આધારે પૂર્વ કચ્છ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) જે.બી. ચૌધરી અને તેમની ટીમે કાયદેસરનું છટકું ગોઠવ્યું હતું. પીએસઆઈ ગોહિલે લાંચના નાણાં સ્વીકારવા માટે ફરિયાદીને ભુજ શહેરના ગાયત્રી મંદિર ગેટ પાસે બોલાવ્યા હતા.

40 હજાર સ્વીકાર્યા પણ રેડની ગંધ આવતા જ ભાગી ગયા

નક્કી થયા મુજબ, ફરિયાદી જ્યારે ભુજના ગાયત્રી મંદિર ગેટ પાસે પહોંચ્યા ત્યારે પીએસઆઈ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે તેમની પાસેથી લાંચ પેટે રૂ. 40,000/- ની રોકડ રકમ સ્વીકારી હતી. આ જ સમયે આસપાસ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે પીએસઆઈને દબોચી લેવા માટે તુરંત રેડ કરી હતી. જોકે, એસીબીના સ્ટાફને નજીક આવતો જોઈ પીએસઆઈ ગોહિલને કઈંક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી. પોતાની ધરપકડ થાય તે પહેલા જ આરોપી પીએસઆઈ ગોહિલ એસીબીના અધિકારીઓને ધક્કો મારી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

ગુનો દાખલ, કચ્છ પોલીસ વિભાગમાં ખળભળાટ

પોલીસ અધિકારી પોતે જ લાંચ લેતા ઝડપાયા બાદ કાયદાના સકંજામાંથી ભાગી જતાં ભુજ શહેર અને સમગ્ર કચ્છ પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે. પૂર્વ કચ્છ એસીબીએ લાંચની રકમ કબજે કરીને ફરાર પીએસઆઈ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો રવાના કરી છે. એસીબીના વડા દ્વારા આ મામલે કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Rajkot: વરસાદી માહોલમાં ભજીયા ખાવા મોંઘા પડશે, સિંગતેલમાં રૂ. 50 અને કપાસિયા તેલમાં 30નો વધારો