થાનગઢ પંથકમાં નશાના કારોબારીઓ રેલવે નેટવર્કનો દુરુપયોગ કરીને સ્થાનિક યુવાધનને બરબાદ કરવાનું મોટું કાવતરું ઘડી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. રાજકોટ એન્ટી નાર્કોટિક્સ ફોર્સને બાતમીદારો અને ડિજિટલ મોનિટરિંગ દ્વારા સચોટ માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશથી ટ્રેન મારફતે માદક પદાર્થોનો એક મોટો જથ્થો થાનગઢ રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવનાર છે. આ બાતમીના આધારે નાર્કોટિક્સની ટીમે સિવિલ ડ્રેસમાં થાનગઢ રેલવે સ્ટેશનની આસપાસ વ્યૂહાત્મક વોચ ગોઠવી દીધી હતી.
મધ્યપ્રદેશની ગેંગની મોડસ ઓપરેન્ડી
જેવી ટ્રેન સ્ટેશન પર આવી અને શંકાસ્પદ મુસાફરો બહાર નીકળ્યા, ત્યારે રેલવે સ્ટેશનની નજીક જ ફોર્સે કોર્ડન કરીને મધ્યપ્રદેશના વતની એવા ૩ નશાના તસ્કરોને દબોચી લીધા હતા. આરોપીઓની સઘન તલાશી લેતા તેમની પાસેથી પ્લાસ્ટિકની ગુણીઓમાંથી ૫૧ કિલો પ્રતિબંધિત પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ત્રણેય આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને લોકલ ટ્રેનોમાં સામાન્ય મુસાફર તરીકે બેસીને આ નશાનો સામાન અહીં સુધી લાવતા હતા જેથી કોઈને શંકા ન જાય. આ પકડાયેલા નશાના સોદાગરોમાં એક મહિલા સભ્ય પણ સક્રિય રીતે સામેલ હોવાનું બહાર આવ્યું છે, જે પોલીસ ચેકિંગથી બચવા માટે એક કવર તરીકે કામ કરતી હતી.










