રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરનારા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન માઝા મૂકી રહ્યો છે. પોલીસની કડક ઝુંબેશ છતાં પઠાણી ઉઘરાણી કરનારા તત્વો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જમદૂત સાબિત થઈ રહ્યા છે. આવો જ એક કાળજું કંપાવી દેનારો કિસ્સો ભાયાવદર ગામેથી સામે આવ્યો છે, જ્યાં રવિ મકવાણા નામના એક આશાસ્પદ યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લાઈવ આપઘાત કરી લીધો છે. યુવાનના આ આકસ્મિક પગલાંથી આખાય પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
કેવી રીતે શરૂ થયું દેવાનું વિષચક્ર?
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક રવિ મકવાણાએ પોતાના સંયુક્ત પરિવારના ભરણપોષણ અને ખેતીકામના વિકાસ માટે ગણોદ ગામના એક શખ્સ પાસેથી વ્યાજે મોટી રકમ લીધી હતી. જોકે, કમનસીબે ખેતીમાં ધાર્યા મુજબની આવક ન થતાં અને પાકમાં મોટું નુકસાન જતાં રવિ વ્યાજના હપ્તા ચૂકવી શક્યો નહોતો. આ દરમિયાન જૂના વ્યાજની રકમ અને પેનલ્ટી ભરપાઈ કરવા માટે રવિએ મજબૂરીવશ ભાયાવદર અને આસપાસના અન્ય ચાર સ્થાનિક વ્યાજખોરોનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી ઊંચા વ્યાજદરે નાણાં લીધા હતા. વ્યાજ ચૂકવવા માટે ફરી વ્યાજે નાણાં લેવાની આ ભૂલ રવિ માટે ફાંસીનો ફંદો બની ગઈ હતી.










