દાહોદ જિલ્લાના ધાનપુર-રાછવા ઘાટ પર એક મોટી રોડ દુર્ઘટના સર્જાઈ છે. ગરબાડાથી ધાનપુર તરફ જઈ રહેલી એક આઇશર 407 ટેમ્પો પહાડી ઘાટ પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટેમ્પો ધડાકાભેર પલટી મારી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટેમ્પોમાં સવાર મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

તમામ લોકો એક જ પરિવારના

ઘટનાની મળતી વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક જ પરિવારના છે, અને તેઓ મદારી તરીકે વ્યવસાય કરે છે. ઘાટના વળાંક પર ટેમ્પો પલટી ખાઈ જતાં ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરી હતી.

સ્થાનિક પોલીસ ઘટના સ્થળે

દુર્ઘટનાની માહિતી મળતા જ 108ની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર તાબડતોબ શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાના પગલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Dahod: દાહોદમાં આજે ભગવાન જગન્નાથજીની 19 મી રથયાત્રા રંગેચંગે નીકળશે