દાહોદ જિલ્લાના લીમડી શહેરમાં અષાઢી બીજની રથયાત્રા પૂર્વે જ એક અત્યંત વજ્રઘાત સમાન અને દુઃખદ ઘટના સામે આવી છે.અહીં રથયાત્રાની શોભા વધારવા માટે લાવવામાં આવેલા લક્ષ્મી નામના ગજરાજનું અગમ્ય કારણોસર અચાનક મોત નીપજ્યું છે.રથયાત્રા નગરમાં ભ્રમણ કરે તે પહેલા જ વહેલી સવારે ગજરાજે અંતિમ શ્વાસ લેતા સમગ્ર પંથકના ભાવિક ભક્તો સ્તબ્ધ થઈ ગયા છે.

ગજરાજ લક્ષ્મીના અકાળે અવસાનથી શોક

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજનું સ્થાન અત્યંત પવિત્ર અને મહત્વનું માનવામાં આવે છે ત્યારે રથયાત્રા શરૂ થાય તે પૂર્વે જ બનેલી આ કાળમુખી ઘટનાથી ઉત્સવનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો છે.ગજરાજ લક્ષ્મીના અકાળે અવસાનથી રથયાત્રાના આયોજકો,સંતો-મહંતો તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.આ ઘટના અંગે વહીવટી તંત્ર અને વન વિભાગની ટીમ દ્વારા મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ અને કાયદેસરની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ગજરાજના સમાધિ સ્થળે ગણેશ મંદિર બનશે

આ ગજરાજના મોત બાદ ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને તેની સન્માનપૂર્વક દફનવિધિ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.શ્રદ્ધાળુઓ અને આયોજકો દ્વારા એવો પણ એક મહત્વનો અને ભક્તિસભર નિર્ણય લેવામાં આવ્યો છે કે,ગજરાજ લક્ષ્મીની જ્યાં દફનવિધિ કરવામાં આવશે,તે પવિત્ર સ્થળ પર આગામી સમયમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનું એક ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવશે. જેથી આ ગજરાજની સ્મૃતિ હંમેશ માટે જીવંત રહી શકે.

આ પણ વાંચોઃ Kachchh News: કચ્છીઓના નવા વર્ષની ઉજવણીના દિવસે જ જિલ્લામાં સતત બે ભૂકંપના આંચકા આવ્યા