કચ્છીયત અને પ્રાદેશિક સંસ્કૃતિના પ્રતીક સમાન કચ્છી નવા વર્ષ એટલે કે આષાઢી બીજના પાવન અવસરે આજે સરહદી જિલ્લા કચ્છમાં ભક્તિ, ઉલ્લાસ અને પ્રકૃતિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. વાગડના મુખ્ય મથક રાપર ખાતે આજે સવારથી જ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. અહીંના ઐતિહાસિક દરિયાસ્થાન મંદિર ખાતેથી સવારે પરંપરાગત ઢોલ-નગારા અને ભક્તિસભર માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાંવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
નવા વર્ષના શુકનવંતા વરસાદને વધાવી લીધો
આ ધાર્મિક મહોત્સવ વચ્ચે કચ્છવાસીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર કુદરત તરફથી આવ્યા હતા. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે મેઘરાજાએ બરાબર રથયાત્રાના મુહૂર્તે જ રાપર અને સમગ્ર વાગડ વિસ્તારમાં ધમાકેદાર પધરામણી કરી હતી. વરસાદના આગમનની સાથે જ રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા અને નવા વર્ષના શુકનવંતા વરસાદને વધાવી લીધો હતો.
