દાહોદ જિલ્લાના લીમખેડા/ધાનપુર વિસ્તારમાં આવેલું અને જંગલ-વનરાજીથી સમૃદ્ધ એવું રતનમહાલ રીંછ અભયારણ્ય હાલ ચોમાસાની મોસમમાં કુદરતી સૌંદર્યનું સ્વર્ગ બની ગયું છે. ઉપરવાસના પહાડી વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે અભયારણ્યમાં આવેલો પ્રખ્યાત નલધા ધોધ પુનઃ જીવંત થઈ ઊઠ્યો છે.ઊંચા પર્વતોના મુખમાંથી દૂધની ધારાની જેમ વહેતો આ ધોધ અત્યંત નયનરમ્ય અને મનમોહક દ્રશ્યો સર્જી રહ્યો છે.

દાહોદનું રતનમહાલ બન્યું કુદરતી સૌંદર્ય

વરસાદી માહોલ વચ્ચે રતનમહાલની ટેકરીઓ ધુમ્મસ અને લીલીછમ વનરાજીથી ઘેરાયેલી જોવા મળી રહી છે. નલધા ધોધ ચાલુ થવાના સમાચાર મળતાં જ દાહોદ, પંચમહાલ, વડોદરા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અને પ્રકૃતિપ્રેમીઓ ધોધનો નજારો માણવા માટે પહોંચી રહ્યા છે.

પર્વતોમાંથી વહી નીકળી અમીધારા

પહાડોની વચ્ચેથી ખાબકતો ધોધ પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. અભયારણ્ય વિસ્તાર હોવાથી કુદરતી વાતાવરણની સાથે પક્ષીઓ અને વનસ્પતિની વિવિધતા જોવા મળે છે.ચોમાસા દરમિયાન પહાડી રસ્તાઓ અને ધોધના ઊંડા પાણી નજીક પ્રવાસીઓને સુરક્ષાના નિયમો પાળવા વન વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: HCમાં 19 ન્યાયાધીશોની ઘટથી કેસોનું ભારણ વધ્યું, દૂરના જિલ્લાના અસીલો હેરાન થતાં વકીલ મંડળે યોજી બેઠક