દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સરકારી યોજનાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ઝાલોદ ખાતે AHM એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જયેશ પટેલે સરકારી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા ઘરના નિર્માણ માટે આગળનો હપ્તો છૂટો કરવાની કામગીરીના બદલામાં અરજદાર પાસેથી 10,000 ની લાંચની માંગણી કરી હતી.

ઝાલોદમાં ACBની કાર્યવાહી

અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે ACB ની ટીમે તાત્કાલિક વ્યૂહરચના બનાવી મુવાડા ચોકડી નજીક છટકું ગોઠવ્યું હતું. એન્જિનિયર જયેશ પટેલના કહેવાથી ખાનગી વ્યક્તિ મનુભાઈ વસૈયા મુવાડા ચોકડી પાસે આવેલ એક પાનના ગલ્લા પર અરજદાર પાસેથી ₹10,000ની રોકડ રકમ સ્વીકારી રહ્યા હતા.

ACB કાર્યવાહી અને અટકાયત

લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડી વચેટિયા મનુભાઈ વસૈયા અને એન્જિનિયર જયેશ પટેલ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ રૂ. 10,000 ની લાંચની રકમ જપ્ત કરી બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા (POCA) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Dhrangadhra: APMCની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન, વેપારી પેનલમાં 100 ટકા અને ખેડૂત પેનલમાં 97 ટકા મતદાન નોંધાયું