ડીસા પંથકમાં સામાજિક અહમ અને કૌટુંબિક ઝઘડાના કારણે જાહેરમાં હિંસા થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, શેરપુરા ગામે રહેતા જાટ સમાજના બે પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સગાઈ તોડવા અથવા સંબંધ રાખવા બાબતે આંતરિક મતભેદો ચાલી રહ્યા હતા. આજે આ મુદ્દે સમાધાન અથવા અંતિમ નિર્ણય લેવા માટે બંને પક્ષો ભેગા થયા હતા, પરંતુ ચર્ચા દરમિયાન વાતાવરણ એકાએક ગરમ થઈ ગયું હતું અને બંને પક્ષના યુવકો તથા વડીલો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી.

પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ, લાકડીઓ ઉછળી

સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષના લોકો પોતપોતાના ઘરોમાંથી લાકડીઓ, ધોકા અને લાકડાના પાયા જેવા હથિયારો લઈને રસ્તા પર આવી ગયા હતા અને એકબીજા પર તૂટી પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મિનિટો સુધી બંને જૂથો વચ્ચે સામસામે બેફામ લાકડીઓ ઉછળી હતી, જેના કારણે ગામની મુખ્ય શેરીમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો પોતાની દુકાનો-ઘરો બંધ કરીને અંદર ભરાઈ ગયા હતા. આ ધિંગાણામાં માથાના અને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ થવાથી અનેક લોકો લોહીલુહાણ થઈ ગયા હતા.

પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી આદરી

બનાવ અંગેની માહિતી વાયુવેગે પ્રસરતા ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થિતિને થાળે પાડીને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. હાલ શેરપુરા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળીને કાયદેસરનો ગુનો નોંધી લીધો છે અને હુમલાખોરોને આઈડેન્ટિફાય (ઓળખ) કરીને તેમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: વાંચ ગામમાં ગેસ કર્મચારી પર હુમલો કરી 3.5 લાખની સોનાની ચેન લૂંટી, પોલીસે બે હિસ્ટ્રીશીટરોને દબોચ્યા