સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટે નવીનીકરણ (રી-ડેવલપમેન્ટ) નું કામ પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન આજે રેલવે સ્ટેશનના ઉપરના માળે ચાલી રહેલા બાંધકામ દરમિયાન અચાનક જ નવી ચણેલી દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી.
દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરો નીચે પટકાયા
દીવાલ ધસી પડતાં ઉપર કામ કરી રહેલા બે શ્રમિકો સંતુલન ગુમાવી બેસતાં સીધા નીચે પટકાયા હતા. દીવાલના કાટમાળ નીચે દબાતાં અને ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે બંને મજૂરોને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે સ્ટેશન પરિસરમાં કામ કરતા અન્ય શ્રમિકો અને મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.ઘટના બનતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવીને બંને ઇજાગ્રસ્ત મજૂરોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
