દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા સઘન એક્શન લેવામાં આવ્યું છે. સલાયામાં તળાવની પાળ નજીક આવેલું વર્ષો જૂનું અને અતિ જર્જરિત શૌચાલયનું બાંધકામ પાલિકા દ્વારા આખરે તોડી પાડવામાં આવ્યું છે. આ શૌચાલય ખૂબ જ ખરાબ હાલતમાં હોવા ઉપરાંત બિનઉપયોગી પણ બન્યું હતું, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે JCB દ્વારા ડિમોલિશનની કાર્યવાહી
નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પોલીસ કાફલાની કડક હાજરીમાં આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈપણ પ્રકારના વિરોધ કે અનિચ્છનીય બનાવને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીનનો ઉપયોગ કરીને અંદાજે 300 ફૂટ લાંબા આ વિશાળ જર્જરિત શૌચાલયને ધ્વસ્ત કરીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.

