ગીર સોમનાથ જિલ્લાના સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગીરગઢડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગીરગઢડાના જુના ઉગલા ગામમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલી રૂ. 1,60,000 ની રોકડ રકમ તેમજ કિંમતી સોના-ચાંદીના દાગીના ચોરી કરીને આસાનીથી રફુચક્કર થઈ ગયા હતા. સવારે જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે ચોરી થઈ હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસને વાકેફ કરવામાં આવી હતી.

માત્ર 10 દિવસમાં બીજી ઘટનાથી ભય

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જુના ઉગલા ગામમાં જ માત્ર 10 દિવસ પહેલાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અને એક મકાનમાંથી રૂ. 2.21લાખની ચોરી કરી ગયા હતા. આ અગાઉની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ ફાંફા મારી રહી છે, ત્યાં જ તસ્કરોએ બીજા બંધ મકાનને સાફ કરી નાખતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આટલું જ નહીં, આજુબાજુના વડવિયાળા ગામમાં આશરે એક વર્ષ પહેલાં થયેલી રૂ. 10 લાખથી વધુની મોટી ચોરીનો ભેદ પણ આજદિન સુધી અકબંધ છે.

તસ્કરોએ જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો 

ગામલોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં અવારનવાર પી.આઈ. ની બદલીઓ થાય છે, પરંતુ તપાસ શૂન્ય રહે છે. રાત્રિના સમયે પોલીસનું કોઈ જ પેટ્રોલિંગ ન હોવાથી તસ્કરો બેફામ બન્યા છે અને એક પછી એક બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી ગ્રામજનો રાત ઉજાગરા કરવા મજબૂર બન્યા છે અને પોલીસ વડા આ મામલે તાત્કાલિક કડક પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:  Surat: સચિન GIDCમાં 13 વર્ષની માસૂમ સગીરા પર 43 વર્ષના વકીલે આચર્યું દુષ્કર્મ, વીડિયો ઉતારી;ધમકી આપી હોવાની આશંકા