સંસદ ભવનમાં ભગવા વસ્ત્રો અને સનાતન સંસ્કૃતિને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના પડઘા હવે સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રા ધામ ગીર સોમનાથ જિલ્લામાં ઘેરા બન્યા છે. ભગવા વસ્ત્રોના વિરોધને લઈને ગીર સોમનાથના સંત સમાજ અને ધાર્મિક સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

સાધુ-સંતોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા સંતો-મહંતોએ રામધૂન બોલાવીને અને ભારે સૂત્રોચ્ચાર કરીને સનાતન ધર્મ પ્રત્યે પોતાની અસ્મિતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંતોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભગવો એ ત્યાગ, સમર્પણ અને ભારતની મૂળ સંસ્કૃતિનું પ્રતિક છે અને તેનું અપમાન ચલાવી લેવાશે નહીં.સંત સમાજે કલેક્ટર મારફતે દેશના મહામહિમ રાષ્ટ્રપતિને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્રમાં તેમણે સાંસદ પપ્પુ યાદવ સહિતના સંબંધિત નેતાઓ પર સનાતન ધર્મ અને સાધુ-સંતોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે.

સંતોની ચીમકી અને મુખ્ય માગણીઓ

સંતોએ માંગ કરી છે કે સંસદની મર્યાદાનો ભંગ કરીને ભગવા વસ્ત્રોનો અનાદર કરનાર નેતાઓ સામે તાત્કાલિક અસરથી FIR નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવે અને તેમની સંસદ સભ્યતા રદ કરવામાં આવે. આ સાથે સંત સમાજે આવેદનપત્રમાં ગાયમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની પણ બુલંદ માંગણી કરી છે. સંતોએ એ પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સનાતન ધર્મના અપમાન સામે યોગ્ય અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્ય અને દેશભરમાં સંત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

આ પણ વાંચો: Kutch: 21 નિર્જન ટાપુઓ પર 27 સપ્ટેમ્બર 2026 સુધી પ્રવેશ પ્રતિબંધ, જાહેરનામું ભંગ કરનાર સામે થશે કાર્યવાહી