ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આલીદ્રા ગામે આવેલી સોમનાથ એકેડમી સ્કૂલ સામે શિક્ષણ બોર્ડ દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. બોર્ડની તપાસ બાદ આલીદ્રાની સોમનાથ એકેડમી સ્કૂલની માન્યતા રદ કરવાનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથમાં શિક્ષણ બોર્ડની મોટી કાર્યવાહી

આ કેસમાં ગત 11 સપ્ટેમ્બરના રોજ બોર્ડની વિશેષ કમિટી સમક્ષ ઓનલાઇન હિયરિંગ (સુનાવણી) યોજાઈ હતી. જેમાં બોર્ડની કમિટીએ બંને પક્ષોને સાંભળ્યા બાદ શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડના આ આદેશ બાદ સ્થાનિક શિક્ષણ કચેરી દ્વારા શાળા સંચાલકોને હુકમની બજવણી કરી દેવામાં આવી છે.સોમનાથ એકેડમી સ્કૂલમાં ધોરણ ૯થી ૧૨ સુધીના વર્ગો ચાલતા હતા. માન્યતા રદ થવાને કારણે શાળા બંધ થવાના આરે પહોંચી છે, જેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

આલીદ્રાની ‘સોમનાથ એકેડમી સ્કૂલ’ની માન્યતા કરાઈ રદ

જોકે, શિક્ષણ વિભાગ અને સ્થાનિક કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ બાળકનું શિક્ષણ કાર્ય અટકશે નહીં. શાળા બંધ થવાની સ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓને નજીકની અન્ય સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં સરળતાથી પ્રવેશ મળી રહે તે માટે સ્થાનિક કચેરી દ્વારા જરૂરી સૂચનાઓ અને આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: શારદાબેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત; હોસ્પિટલ અન્ય બિલ્ડિંગમાં શિફ્ટ કરાશે