ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા દહેગામ દરિયાઈ કિનારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. દહેગામ દરિયામાં સવાર થઈને ગયેલી એક બોટમાં અચાનક યાંત્રિક કે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. બોટ બેકાબૂ બનતાં તેમાં સવાર 8 લોકો દરિયાના મધ્યમાં ધસમસતા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.

જંબુસરના દહેગામ દરિયામાં મોટી દુર્ઘટના

ઘટનાને પગલે દરિયા કિનારે હાજર સ્થાનિક લોકો અને માછીમારોએ ત્વરિત સમયસૂચકતા અને હિંમત દાખવીને પોતાની બોટ વડે દરિયામાં ઝંપલાવ્યું હતું. સ્થાનિકોએ ભારે જહેમત બાદ પાણીમાં તણાતા 8 પૈકી 7 લોકોને સલામત રીતે બહાર કાઢીને નવજીવન આપ્યું હતું. આ દુર્ઘટનામાં ૭ લોકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ અક્ષય કરસન વાઘેલા નામનો યુવક દરિયાના ઊંડા પાણીમાં તણાઈ જતાં લાપતા બન્યો છે. બનાવની જાણ થતાં જ જંબુસરના મામલતદાર સહિતનો સરકારી અને પોલીસ કાફલો દહેગામ દરિયા કિનારે દોડી આવ્યો હતો.

બોટમાં ખામી સર્જાતાં 8 લોકો તણાયા

લાપતા યુવકની શોધખોળ માટે રાજ્ય આપદા પ્રતિસાદ દળ (SDRF) ની ખાસ રેસ્ક્યૂ ટીમ બોલાવવામાં આવી હતી. SDRF ની ટીમે બોટ અને લાઇફ જેકેટ સહિતના આધુનિક સાધનો વડે દરિયાના ઊંડા પાણીમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. યુવકનો હજી સુધી કોઈ પતો ન મળતાં તેનો પરિવાર ઘેરી ચિંતા અને મુંજવણમાં મુકાયો છે, જ્યારે સમગ્ર દહેગામ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: Valsad: રસ્તા પર 'ભાઈગીરી અને હીરોગીરી' બંધ કરવા કલેક્ટરએ લેવડાવ્યા શપથ, દંડથી પર થઈને આપ્યો સકારાત્મક સંદેશ