જામનગર શહેરમાં ચોમાસા દરમિયાન સામાન્યથી ભારે વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની ફરિયાદો ઉઠતી રહી છે. આ સમસ્યાના મૂળમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે શહેરની આસપાસ આવેલી કુદરતી અને કૃત્રિમ વરસાદી કેનાલો પર સ્થાનિક ભૂમાફિયાઓ અને દબાણકારોએ પાકા બાંધકામો કરી લીધા છે, જેના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. આ બાબતને ગંભીરતાથી લઈને જામનગર મહાનગરપાલિકાએ ચોમાસું બેસે તે પહેલા જ યુદ્ધના ધોરણે ઓપરેશન દબાણ હટાવ શરૂ કર્યું છે.
નાગનાથ ગેટ વિસ્તારમાં દબાણ હટાવાયા
આજે સવારથી જ મનપાની એસ્ટેટ શાખા, ટીપીઓ (TPO) ની ટીમ અને સેનિટેશન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો જેસીબી મશીનો સાથે નાગનાથ ગેટ વિસ્તારમાં ત્રાટક્યો હતો. નાગનાથ ગેટ અને સ્થાનિક સ્મશાન ગૃહની નજીકથી પસાર થતી વરસાદી કેનાલની બિલકુલ બાજુમાં અને કેનાલની ઉપર જ ગેરકાયદેસર રીતે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા, જે મનપાના ચોપડે સરકારી જમીન પરનું દબાણ સાબિત થયું હતું.
