ગાંધીનગર જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ડભોડા ગામે શ્રી કૃષ્ણ જન્મોત્સવની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપીને ડભોડા સ્થિત પ્રસિદ્ધ શ્રી રણછોડરાય મંદિરે ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. સીએમ પટેલે ભગવાન રણછોડરાયના ચરણોમાં સીસ નમાવી રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

શહેરી ઝગમગાટ છોડી ગ્રામીણ પરિસરમાં જન્મોત્સવની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે મોટા શહેરોના ભવ્ય આયોજનોને બદલે ગ્રામીણ વિસ્તારના પરંપરાગત મંદિરની પસંદગી કરીને ગ્રામજનો સાથે તહેવાર ઉજવવાની એક નવી પહેલ કરી હતી. ડભોડા ગામે સીએમની સરપ્રાઈઝ અને પ્રત્યક્ષ ઉપસ્થિતિથી સ્થાનિક શ્રદ્ધાળુઓ તેમજ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

દર વર્ષની પરંપરા બદલી, ઈસ્કોન મંદિરના બદલે ડભોડા ગામ પસંદ કર્યું

સામાન્ય રીતે દર વર્ષે જન્માષ્ટમીના પાવન પર્વે મુખ્યમંત્રી અમદાવાદના પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરે જઈને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન તથા મહાઆરતીમાં સહભાગી થતા હોય છે, પરંતુ આ વર્ષે તેમણે અમદાવાદના ઈસ્કોન મંદિર જવાના સ્થાને ગાંધીનગર નજીક આવેલા ડભોડા ગામના રણછોડરાયજી મંદિરે દર્શન કરવાનો નિર્ણય લીધો હતો, જે સમગ્ર પંથકમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ અને ભક્તિમય વાતાવરણ

મુખ્યમંત્રીના આગમનને પગલે મંદિર પરિસરમાં સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે ગ્રામજનો અને દુર-દુરથી આવેલા દર્શનાર્થીઓએ ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદ સાથે આખા વાતાવરણને ગુંજવી મૂક્યું હતું. મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનોએ સીએમ ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને કાનુડાના જન્મની ક્ષણોને ધામધૂમથી વધાવવામાં આવી હતી.


આ પણ વાંચો: Somnath મહાદેવના શિરે 2 કરોડનો સુવર્ણ મુગટ, જ્યોતિર્લિંગ પર સર્જાયો કૃષ્ણાવતારનો અલૌકિક શૃંગાર