જૂનાગઢના સુપ્રસિદ્ધ અને પવિત્ર ગિરનાર પર્વત પર આગામી દિવસોમાં યોજાનારા ધાર્મિક ઉત્સવને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ બન્યા છે. ગિરનાર ખાતે પરંપરાગત રીતે ઉજવાતા 'નિર્વાણ લાડુ ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન પર્વત પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે કમર કસી લીધી છે.
2 દિવસીય મહોત્સવમાં કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા તંત્ર સજ્જ
આ ધાર્મિક કાર્યક્રમ સળંગ 2 દિવસ સુધી ચાલવાનો છે. ગિરનારની ભૌગોલિક સ્થિતિ અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અફરાતફરી ન સર્જાય તે માટે પોલીસને હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. પર્વત પરના યાત્રાધામો અને પગથિયાંઓ પર ભીડને નિયંત્રિત કરવા તેમજ સુરક્ષિત માહોલ પૂરો પાડવા માટે ખાસ પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
2 DySP અને 20 PI સહિત 400થી વધુ જવાનો તૈનાત
ગિરનાર પર્વત પર ગોઠવવામાં આવેલો પોલીસ બંદોબસ્ત અત્યંત ચુસ્ત અને અભેદ્ય છે. આ સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર અને 35 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતરશે. આ ઉપરાંત, 400 થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનોને પર્વતના અલગ-અલગ પોઈન્ટ્સ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે.

ડ્રોન કેમેરા અને સીસીટીવીથી થશે થર્ડ આઈ મોનિટરિંગ
પરંપરાગત સુરક્ષાની સાથે સાથે આ વર્ષે ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગિરનારના સમગ્ર રૂટ પર અને મુખ્ય કાર્યક્રમ સ્થળ પર સીસીટીવી કેમેરા નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. આ સાથે જ પર્વતની ઉંચાઈ અને ખીણ વિસ્તારો પર બાજ નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આ તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવશે જેથી કોઈ પણ શંકાસ્પદ હિલચાલ પર તુરંત એક્શન લઈ શકાય.
આ પણ વાંચો - Junagadh News: પવિત્ર દામોદર કુંડમાંથી મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ, ભાવિકોના જીવ તાળવે ચોંટ્યા