એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા જૂનાગઢના સાસણ ગિરમાંથી સિંહપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસાની ઋતુમાં સિંહોના સંવર્ધનકાળ (મેટીંગ સીઝન) ને ધ્યાનમાં રાખીને અપાતું નિયમિત વેકેશન આ વર્ષે પાછું ઠેલવામાં આવ્યું છે. સાસણ ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે સફારી પાર્ક હવે 15 જૂનને બદલે 23 જૂનથી સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે, જેને પગલે સિંહ દર્શન માટે ઉત્સુક પ્રવાસીઓને વધુ 7 દિવસનો સમય મળશે.


ચોમાસું ખેંચાતા વન વિભાગનો પ્રથમવાર મોટો નિર્ણય

સાસણ ગીરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ એવી ઘટના છે જ્યારે સિંહોનું વેકેશન આટલું મોડું શરૂ થઈ રહ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું લંબાતા અને વરસાદ ખેંચાતા વન વિભાગ દ્વારા વેકેશનનો આ પિરિયડ ટૂંકાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વન વિભાગની નવી જાહેરાત મુજબ, આગામી 22 જૂનના રોજ આ સીઝનની અંતિમ સફારી યોજાશે અને 23 જૂનથી સફારી પાર્કના દરવાજા પ્રવાસીઓ માટે બંધ થશે.

એક જ વર્ષમાં 2 લાખથી વધુ પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શન

ગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, જેનો પુરાવો વન વિભાગના આંકડાઓ પરથી મળે છે. ચાલુ વર્ષ દરમિયાન રેકોર્ડબ્રેક બે લાખથી વધુ દેશી-વિદેશી પ્રવાસીઓએ સાસણ ગીરની મુલાકાત લઈને જંગલના રાજા સિંહના મુક્ત મને દર્શન કર્યા છે. વન વિભાગના આ નવા નિર્ણયથી જે પ્રવાસીઓ વેકેશન શરૂ થવાના ડરથી બુકિંગ કરાવી શક્યા નહોતા, તેઓ હવે 22 જૂન સુધી ગીરની મુલાકાત લઈ શકશે. 23 જૂનથી સફારી બંધ થયા બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યજીવોની સુરક્ષા અને ટ્રેકિંગની કામગીરી સઘન બનાવવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: