જૂનાગઢ જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે, જે હવે વાહનચાલકો માટે કાળસમાન બની રહ્યો છે. કેશોદ-માંગરોળ રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકને રસ્તામાં અચાનક આખલો આડે આવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, બાઈકસવાર રોડ પર ફેંકાઈ ગયા હતા, અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન દમ તોડ્યો

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિની ઓળખ નિવૃત્ત કર્મચારી માધાભાઈ રાવલિયા તરીકે થઈ છે. ઘટના બનતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ ઈજાઓ અત્યંત ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન જ માધાભાઈ રાવલિયાનું કમનસીબ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પાલિકા તંત્ર અને વહીવટી કામગીરી સામે સવાલો

આ દુઃખદ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેશોદ અને આસપાસના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ લાંબા સમયથી છે, છતાં નગરપાલિકા કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યા બાદ હવે પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે, તંત્ર વહેલી તકે આ રખડતા ઢોરને પકડીને યોગ્ય સ્થળે ખસેડે જેથી ભવિષ્યમાં આવી દિલધડક દુર્ઘટનાઓ અટકાવી શકાય.


આ પણ વાંચો - Junagadh : સરકારી ફરજમાં અડચણ ઊભી કરવાના કેસમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દોષિત જાહેર