કેશોદ શહેરમાંથી ઘરકંકાસના પરિણામે આખો પરિવાર વિખેરાઈ જવાની અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આશરે ચાર વર્ષ પૂર્વે પ્રેમલગ્નના પવિત્ર બંધનથી જોડાયેલા દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર નાની-મોટી બાબતોમાં ઘરકંકાસ અને ઝઘડાઓ ચાલતા હતા.

ઘરકંકાસમાં પ્રેમલગ્ન કરનાર દંપતીનો આવ્યો કરુણ અંત

દરમિયાન ગતરોજ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ આવેશમાં આવીને પોતાની પત્નીને ગળે ટૂંપો આપી દીધો હતો. ગંભીર રીતે ગૂંગળામણને કારણે પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.પત્નીનું મોત નીપજ્યા બાદ અચાનક ભાનમાં આવેલા પતિને પોતાના આ ભયાનક કૃત્ય બદલ ભારે અફસોસ અને પશ્ચાતાપ થયો હતો. કાયદાના શિકંજા અને માનસિક આઘાતમાં આવી ગયેલા પતિએ ઘરમાંથી નીકળીને નજીકના રેલવે ટ્રેક પર જઈ સામેથી આવતી ટ્રેન નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

4 વર્ષ અગાઉ બંનેએ કર્યા હતા પ્રેમલગ્ન

બનાવની જાણ થતાં જ કેશોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને રેલવે ટ્રેક પર પહોંચી ગયો હતો. પોલીસે પત્ની અને પતિ બંનેના મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અર્થે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.કેશોદ પોલીસે હત્યા અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને દંપતીના પરિવારજનો અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ભાજપ નેતા મુકેશ ગુજરાતીની વરિષ્ઠ એડવોકેટ યતીન ઓઝા સામે બેફામ ટિપ્પણી, ફેસબુક પર આપત્તિજનક પોસ્ટથી વિવાદ