ખેડા જિલ્લાના ગળતેશ્વરથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગળતેશ્વર-સેવાલીયા રોડ પર લહેરીપૂરા નજીક એક મુસાફરોથી ભરેલી ખાનગી બસ અચાનક પલટી મારી ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર 55થી વધુ મહિલાઓ અને બાળકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.


બ્રેક ફેલ થવાના કારણે સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી વિગતો અનુસાર, આ ખાનગી બસ અમદાવાદના સાણંદ તાલુકાના ઇયાવા ગામથી મુસાફરોને લઈને ગળતેશ્વર તરફ જઈ રહી હતી. દરમિયાન સેવાલીયા રોડ પર લહેરીપૂરા પાસે અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બ્રેક ફેલ થવાના કારણે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસે પલટી મારી દીધી હતી. જોકે, રાહતની વાત એ છે કે, અંબાવમાં સર્જાયેલા ભારે ટ્રાફિક જામમાંથી બહાર નીકળ્યા બાદ આ અકસ્માત નડ્યો હતો, જેથી એક મોટી જાનહાનિ ટળી ગઈ છે.

સ્થાનિકો અને પોલીસે શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન

અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને સેવાલીયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલા મહિલાઓ અને બાળકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિક ખાનગી વાહનો મારફતે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેવાલીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં હોસ્પિટલ ખાતે તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે લોકોની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Kheda News: પ્રગતિપથ યાત્રા અંતર્ગત વણાંકબોરી થર્મલ પાવર પ્લાન્ટ પહોંચ્યા રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા



  • Follow us on: