ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાંથી અત્યંત માઠા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહુધા તાલુકાના સાપલા ગામે રહેતી 9 વર્ષની એક માસૂમ બાળકી અચાનક ચાંદીપુરા વાયરસના સંક્રમણની ઝપેટમાં આવી ગઈ હતી. બાળકીને તીવ્ર તાવ અને વાયરસ સંબંધિત ગંભીર શારીરિક લક્ષણો જણાતાં પરિવારજનો દ્વારા તેને સૌપ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.જોકે, સારવાર દરમિયાન બાળકીની તબિયત વધુ લથડતાં અને શારીરિક સ્થિતિ અત્યંત નાજુક બનતાં તેને બે દિવસ અગાઉ વધુ સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી.
ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાતોની ટીમ દ્વારા બાળકીને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ આ ૯ વર્ષીય બાળ દર્દીનું કરૂણ અવસાન થયું હતું. બાળકીના મોત બાદ વાયરસનું સંક્રમણ કે અન્ય કોઈ સ્વાસ્થ્ય જોખમ ન ઊભું થાય તે હેતુથી આરોગ્ય વિભાગની કડક માર્ગદર્શિકા (SOP) અને તમામ મેડિકલ પ્રોટોકોલનું પાલન કરીને બાળકીની અંતિમવિધિ કરવામાં આવી હતી.
