ખેરાલુ શહેરમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમના લોકો વચ્ચે મોટો ઝઘડો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં રમી રહેલા નાના બાળકો વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે, આ તકરારની અદાવતમાં બંને પક્ષના મોટા વડીલો અને શખ્સો પણ મેદાનમાં આવી ગયા હતા અને જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

સામાન્ય બાબતમાં ઝઘડો થયો

વાતાવરણ વણસતાં જ બંને પક્ષો તરફથી એકબીજા પર આડેધડ પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. પથ્થરમારાની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારની બજારો બંધ થઈ ગઈ હતી અને સ્થાનિકોમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. પથ્થરો વાગવાના કારણે બંને પક્ષના મળીને કુલ 4 જેટલા વ્યક્તિઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર અર્થે વડનગરની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

ખેરાલુ પોલીસ ઘટનાસ્થળે દોડી

ઘટનાની ગંભીરતાને પગલે ખેરાલુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી ઇન્દિરાનગર ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે હવામાં લાઠીઓ વીંઝીને પથ્થરમારો કરતી ભીડને વિખેરી નાખી હતી અને સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પથ્થરમારા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઇન્દિરાનગરના ચારેય નાકા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના આગમન બાદ હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે. પોલીસે પથ્થરમારો કરનારા તોફાની તત્વોને ઓળખી કાઢવા અને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી ધરપકડ કરવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Botad: ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓની WhatsApp પર રેકી કરતું નેટવર્ક પકડાયું, આ રેકેટમાં 2 શખ્સોની અટકાયત