ગુજરાતમાં કરચોરો સામે આવકવેરા વિભાગે (IT) મોટું શસ્ત્ર ઉગામ્યું છે. રાજ્યમાં ગાંધીધામ અને મુન્દ્રા સહિત કુલ 15 જેટલાં સંવેદનશીલ અને વેપારી સ્થળો પર આઈટી વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા વહેલી સવારથી એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે.

ગુજરાતમાં આઈટી વિભાગના દરોડા

આ દરોડામાં ખાસ કરીને કચ્છ જિલ્લાના દરિયાઈ બંદર ક્ષેત્ર સાથે સીધા જોડાયેલા મોટા કારોબારીઓ, શિપિંગ એજન્ટો, લોજિસ્ટિક્સ કંપનીઓ અને જમીન-મકાનના કારોબાર સાથે જોડાયેલા મોટો ગજાના વેપારી જૂથોને આઈટી વિભાગે પોતાની તપાસના દાયરામાં લીધા છે.આવકવેરા વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ વિશાળ તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વેપારી જૂથો દ્વારા મોટા પાયે કરચોરી કરવામાં આવી રહી હોવાની અને પોતાના નાણાકીય હિસાબી ચોપડાઓમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે.

મોટા પાયે કરચોરી અને હિસાબોમાં ગેરરીતિની શંકા

આઈટીના અધિકારીઓ દ્વારા સ્થળ પરથી હિસાબી ચોપડા, બેંક ટ્રાન્ઝેક્શન અને રોકડ વ્યવહારોના ચોપડા કબજે કરીને તપાસવામાં આવી રહ્યા છે.કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ અને મોબાઈલ ફોનમાંથી ડિજિટલ ડેટાનો રિકવરી પ્રયાસ ચાલુ છે.હાલમાં તમામ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દરોડા પૂર્ણ થયા બાદ મોટા પ્રમાણમાં બિનહિસાબી મિલકતો, રોકડ રકમ અને બેનામી વ્યવહારો બહાર આવવાની પૂરતી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો: Bhavnagar: ખરકડી ગામે કેફી પીણું પીધા બાદ તબિયત લથડતાં 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં સારવાર હેઠળ