સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વઢવાણ હાઇવે પર આવેલા દેદાદરા ગામ નજીક ગતરાત્રિના સમયે એક અત્યંત કાળજું કંપાવી દેનારો ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. લખતર તાલુકા પંચાયતમાં 'સ્વચ્છ ભારત મિશન' શાખામાં અધિકારી તરીકે ફરજ બજાવતા રવિ કુમાર પોતાના પરિવાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી.

સુરેન્દ્રનગરમાં કાળજું કંપાવનારો અકસ્માત

આ અકસ્માત એટલો ભયાનક હતો કે રવિ કુમારના પત્ની અને પુત્રનું ટૂંકી સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અધિકારી રવિ કુમારને તાત્કાલિક અસરથી ટીબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે તેમનું પણ અકાળે અવસાન થતાં અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 3 થયો છે.બાઇકને ટક્કર મારીને વાહનચાલક પોતાનું વાહન લઈને અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ગમખ્વાર અકસ્માતમાં આખો પરિવાર હોમાયો

ઘટના અંગેની જાણ થતાં જ વઢવાણ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. વઢવાણ પોલીસે મૃતક અધિકારી રવિ કુમારના મૃત્તદેહનો કબજો મેળવી સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) કરાવવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.પોલીસે અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રન અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોત નીપજાવવા અંગે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.હાઇવે પર આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહનની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: મધ્યપ્રદેશના મર્ડર કેસનો આરોપી મકરબાથી ગિરફ્તાર