મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લામાં આવેલા ચન્દ્રશેખર આઝાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી મર્ડરની ગંભીર ઘટનામાં સંડોવાયેલો અને ત્યારથી જ ફરાર થયેલો આરોપી અમદાવાદમાં આશ્રય લઈ રહ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે શહેરમાં ગુના આચરીને નાસતા ફરતા આરોપીઓની સરપ્રાઇઝ ચેકિંગ અને પેટ્રોલિંગમાં હતી, ત્યારે આ સફળતા સાંપડી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના મકરબા વિસ્તાર ખાતે વોચ ગોઠવીને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સેજાવાળા ગામના રહેવાસી ૨૭ વર્ષીય દિનેશ મદન માવીને દબોચી લીધો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછ અને તપાસ કરતા સામે આવ્યું હતું કે તેની સામે મધ્યપ્રદેશના ચન્દ્રશેખર આઝાદનગર પોલીસ સ્ટેશનમાં હત્યા (IPC/BNS ની કલમો હેઠળ) નો ગુનો દાખલ થયેલો છે અને તે ધરપકડથી બચવા માટે અમદાવાદ આવીને છુપાયો હતો.

મધ્યપ્રદેશના મર્ડર કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની સત્તાવાર અટકાયત કરી તેની તબીબી તપાસ પૂર્ણ કરી હતી. ચન્દ્રશેખર આઝાદનગર પોલીસ સ્ટેશનને આ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીને વધુ તપાસ તથા કસ્ટડી માટે મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય રાજ્યોના નાસતા ફરતા ગુનેગારો સામે હાથ ધરાયેલા આ અભિયાનથી ગુનાખોરી પર મોટો અંકુશ આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: ભાવનગર નકલી દારૂ કાંડના તાર અમદાવાદ સુધી લંબાયા, ગ્રામ્ય પોલીસે મોડી રાત્રે મેગા કોમ્બિંગ કરી 177 થી વધુ કેસ નોંધ્યા