મહેસાણા મહાનગરપાલિકા (મનપા)ની ઘોર લાપરવાહી અને ડિજિટલ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મનપાની અધિકૃત વેબસાઈટ પર નાગરિકો માટે જાહેર કરવામાં આવેલો હેલ્પલાઈન નંબર ભૂલથી દિલ્હીના એક વેપારીનો દર્શાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના તંત્રની આ ટેકનિકલ ભૂલને કારણે મનપાને લગતી ફરિયાદો અને રજૂઆતો માટે સ્થનિક નાગરિકો દિલ્હીના વેપારીને ફોન કરી રહ્યા છે.

દિલ્હીના વેપારી છેલ્લા આઠ મહિનાથી પરેશાન

મનપાની આ ગંભીર બેદરકારીના કારણે દિલ્હીના વેપારી ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. છેલ્લા આઠ મહિનાથી આ ખોટો નંબર વેબસાઈટ પર એક્ટિવ હોવાથી વેપારીને દરરોજ આશરે 40 જેટલા રોંગ કોલ આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકો પોતાની સમસ્યાઓ જણાવવા માટે ફોન કરે છે, પરંતુ સામે દિલ્હીના વેપારી હોવાથી નાગરિકોની મુશ્કેલીઓનો પણ કોઈ ઉકેલ આવી રહ્યો નથી.

તંત્રની લાપરવાહી સામે ઉઠ્યા ગંભીર સવાલો

આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લા આઠ-આઠ મહિનાથી આ ભૂલ ચાલુ હોવા છતાં મનપા તંત્ર દ્વારા વેબસાઈટ પરનો હેલ્પલાઈન નંબર અપડેટ કરવામાં આવ્યો નથી. આટલા લાંબા સમય સુધી સત્તાધીશો કે આઈટી ટીમનું ધ્યાન આ તરફ ન જતાં મનપાની કાર્યશૈલી અને બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા છે. નાગરિકો હવે તાત્કાલિક ધોરણે યોગ્ય અને સાચો નંબર અપડેટ કરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot News : જેતપુરમાં બુટલેગરે પોલીસ જવાનને છરી મારી, આરોપીની અટકાયત