મોડાસામાં આવેલા સગરવાડા વિસ્તારમાં મોડી રાત્રે ભયનો માહોલ સર્જાયો હતો. અહીં રહેતા હર્ષદભાઈ ભાવસારનું જૂનું અને કાચું મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થયું હતું. આ ઘટના મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે બની હતી, જ્યારે પરિવારના સભ્યો ઘોર નિંદ્રામાં હતા.
મોડાસામાં મોડી રાત્રે મોટી દુર્ઘટના
મકાનના ઉપરના ભાગે રાત્રિના સમયે પરિવારના ચાર સભ્યો સુતેલા હતા. અચાનક જ ઉપરના રૂમનો સ્લેબ કડડભૂસ થઈને નીચે તૂટી પડ્યો હતો. જેને કારણે ઉપર સુતેલા ચારેય વ્યક્તિઓ સ્લેબના કાટમાળ સાથે જ નીચેના રૂમમાં આવી પડ્યા હતા, જેથી આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનાની કરુણતા એ છે કે હર્ષદભાઈના બહેન અને ભાણેજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવા માટે ખાસ મોડાસા આવ્યા હતા. તહેવારની ખુશીઓ વચ્ચે જ આ અકસ્માત સર્જાયો હતો. સ્લેબ તૂટીને નીચે પડતાં નીચેના રૂમમાં સુતેલા અન્ય ત્રણ વ્યક્તિઓ પણ કાટમાળ હેઠળ દબાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતા.
