સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન શહેરોમાં પૂરતો પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય છે, પરંતુ રાજકોટમાં આ વર્ષે ચોમાસા વચ્ચે જ પાણીકાપ વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભાદર જૂથ જળ યોજના અને નવી નાખવામાં આવેલી મુખ્ય પાઇપલાઇનના જોડાણ (ઇન્ટરકનેક્શન) ની તાકીદની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
પાઇપલાઇન જોડાણની કામગીરીને પગલે RMC નો નિર્ણય
આ ટેકનિકલ અને મેન્ટેનન્સ કામગીરીને પૂર્ણ કરવા માટે મનપા દ્વારા આગામી રવિવાર (30 ઓગસ્ટ) અને મંગળવાર (1 સપ્ટેમ્બર) ના રોજ તબક્કાવાર રીતે રાજકોટના અડધાથી વધુ વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચાલુ ચોમાસાની સીઝનમાં રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અપેક્ષા મુજબનો વરસાદ નોંધાયો નથી. એક તરફ જળાશયોમાં પાણીની આવક ઓછી છે અને ગરમી-બફારાનું પ્રમાણ વધુ છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા ઝીંકવામાં આવેલા પાણીકાપને કારણે ગૃહિણીઓ અને વેપારીઓની દિનચર્યા ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
