અમરેલી જિલ્લામાં કાળાડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયેલા અનરાધાર વરસાદે સમગ્ર જિલ્લાને ઘમરોળી નાખ્યો છે. રાજુલામાં ૯ ઈંચ અને ધારી પંથકમાં ૭ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યા બાદ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં કોઝવે અને રસ્તાઓ ધોવાઈ જવાની કે પાણીમાં ગરકાવ થવાની ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકે તેમ ન હોવાથી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે મોટો નિર્ણય લેવાયો છે.
પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ
શિક્ષણ વિભાગના સત્તાવાર આદેશ અનુસાર, જિલ્લાના સૌથી વધુ વરસાદી પ્રભાવ ધરાવતા ૫ તાલુકાઓ- સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારીની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ આજે બંધ રાખવામાં આવી છે. આ તાલુકાઓના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં શાળાએ જતા નાના બાળકો પૂરના પાણી કે કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે વગર્ ખંડે શૈક્ષણિક પ્રવૃત્તિઓ મોકૂફ રાખવામાં આવી છે.
