આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની જંગી આવકના કારણે પુર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ચોતરફ પાણી ફરી વળતાં વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના પરિણામે સ્થાનિક જળસ્ત્રોતો છલકાઈ જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ જળમગ્ન બન્યા છે.
ઓવરટોપિંગને પગલે 2 મુખ્ય માર્ગો સંપૂર્ણ બંધ
રસ્તાઓ પર પાણીનું ભારે ઓવરટોપિંગ થવાના કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 2 મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખાખસર ક્રોસિંગથી કાનાવાડા રોડ અને જીણજથી પાદરા જતો રસ્તો બંધ કરી દેવાતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. માર્ગો બંધ થવાના કારણે આસપાસના ગામડાંઓના સંપર્ક પર પણ અસર પડી છે.

