ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાના તોફાની ઇનિંગના કારણે પૂરની ભયાવહ સ્થિતિ પેદા થઈ છે. વાલિયા તાલુકાના સિલુડી ગામમાં આભ ફાટ્યું હોય તેમ વરસેલા અતિભારે વરસાદના લીધે સ્થાનિક કોતરોના પાણી આખા ગામમાં ફરી વળ્યા છે. જોતજોતામાં ગામના તમામ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને ઘરોની આસપાસ કમર સુધીના પાણી ભરાઈ જતાં ગ્રામજનો પોતાના જ ઘરોમાં કેદ થઈ ગયા હતા.

કાચા મકાનો ધરાશાયી, 15 લોકોનો ચમત્કારિક બચાવ

પૂરના પાણીના સતત ભેજ અને દબાણના કારણે ગામમાં આવેલા ૩થી વધુ જુના અને કાચા મકાનોની દિવાલો અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. સદનસીબે દિવાલ તૂટવાના સમયે જાનહાનિ ટળી હતી અને અંદર હાજર 15થી વધુ લોકોનો આબાદ બચાવ થયો હતો. જોકે, 10થી વધુ મકાનોમાં પૂરના ગંદા પાણી ઘૂસી જતાં અનાજ, કપડાં, ગાદલાં અને ઘરવખરીનો તમામ સામાન સંપૂર્ણપણે પલળી જતાં કફોડી હાલત થઈ છે.

શાળામાં આશ્રય અને સહાયની પોકાર

સ્થિતિ વણસતી જોઈને સ્થાનિક સરપંચ અને વાલિયા મામલતદારની ટીમ એક્શનમાં આવી હતી. ટ્રેક્ટર અને દોરડાની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા બાળકો અને મહિલાઓ સહિત ૫૦ જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢી ગામની સરકારી શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. શાળા આશ્રયસ્થાન ખાતે લોકો માટે રહેવા અને જમવાની પ્રાથમિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પૂરના કારણે બધું જ ગુમાવી ચૂકેલા પીડિત પરિવારોએ ભારે આક્રોશ સાથે તંત્ર પાસે માંગ કરી છે કે, તેમના નુકસાનનો વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખાવા-પીવા તેમજ રહેવા માટે તાત્કાલિક સરકારી સહાય (કેશડોલ્સ) પૂરી પાડવામાં આવે.

આ પણ વાંચો:  Ahmedabad: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં મેગા પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા, સાણંદમાં બંધાશે દેશનો 3જો સેમિકન્ડક્ટર પ્લાન્ટ