સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મધ્યરાત્રિ પછી મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.મોડી રાતથી શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના મુર્જાતા પાકોને નવજીવન મળ્યું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ભારે રાહત અનુભવી છે. ખેડબ્રહ્મા પંથકમાં બે ઇંચથી વધુ પાણી વરસ્યું છે.આ ઉપરાંત વડાલી, તલોદ અને ઈડર તાલુકાઓમાં પણ બે ઇંચ જેટલો સારો વરસાદ ખાબક્યો છે.જ્યારે વિજયનગર અને પોશીના તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે જિલ્લાના અનેક તળાવોમાં પાણીની નવી આવક થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી
વર્તમાન સમયમાં જિલ્લામાં મગફળી,કપાસ અને સોયાબીન જેવા મહત્વના ખરીફ પાકો માટે પાણીની તાતી જરૂરિયાત હતી.સમયાંતરે વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ મધ્યરાત્રિના સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે,કારણ કે આ પાણી પાક માટે અત્યંત ગુણકારી સાબિત થશે. જોકે, કૃષિ નિષ્ણાતોના મતે હજુ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની આવશ્યકતા છે,કેમ કે હજુ પણ ઘણી નદીઓ,તળાવો અને ચેકડેમોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. એક તરફ વરસાદે ખેડૂતોને રાહત આપી છે તો બીજી તરફ વહીવટી તંત્ર અને નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે.

ઈડર કોલેજ પાસે આવેલી હોસ્પિટલના આગળના ભાગમાં પાણી ભરાયા
ઈડર પંથકમાં થોડા સમયના ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ઈડરથી શાંતિપુરા, હસનપુરા, શેરપુર, લાલોડા તેમજ સિવિલ હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઈડર કોલેજ પાસે આવેલી હોસ્પિટલના આગળના ભાગમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા.આ સ્થિતિના કારણે એમ્બ્યુલન્સ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, વાહનચાલકો અને સામાન્ય રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. થોડા જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ જતા સ્થાનિક ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત, ઈડર તરફથી આવતી ડેભોલ નદી તેમજ આસપાસના પહાડો પરથી વહેતા પાણીના પ્રવાહોમાં નવા નીર આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.
આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરના આ વિસ્તારોમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો