જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરિયાકિનારે અચાનક હવામાનમાં પલટો આવતાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સરચાર્જ પરિસ્થિતિને પગલે દરિયામાં 5 થી 7 ફૂટ જેટલા ઊંચા તોફાની મોજા ઉછળવાનું શરૂ થયું છે. દરિયાના આ રૌદ્ર સ્વરૂપને જોતાં સ્થાનિક માછીમારો અને કિનારે વસતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
માંગરોળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ કરાયું સક્રિય
હવામાન વિભાગની કટોકટી અને દરિયામાં તોફાની પવનની શક્યતાઓને ધ્યાને રાખીને તંત્ર દ્વારા માંગરોળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સિગ્નલ લાગતાં જ માછીમારો અને પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા અને અત્યંત સાવચેત રહેવા માટે સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે દરિયામાં ગયેલી તમામ ફિશિંગ બોટોને પણ તાત્કાલિક કાંઠે પાછી બોલાવીને સુરક્ષિત રીતે બાંધી દેવામાં આવી છે.
