નર્મદા જિલ્લા સહિત તેના ઉપરવાસના વિસ્તારોમાં નોંધાયેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં તીવ્ર વધારો થયો છે. જિલ્લાના રાજપીપળા નજીક આવેલા મહત્વના કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદથી ડેમની જળસપાટી નિયમન સ્તરની નજીક પહોંચી ગઈ છે.જળાશયની સલામતી અને પાણીના આવરાને સંતુલિત કરવા માટે વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લઈને કરજણ ડેમના ૪ દરવાજા (ગેટ) ખોલી દેવામાં આવ્યા છે.

કરજણ નદીમાં પાણીની આવક

https://twitter.com/sandeshnews/status/2083039885993382204

નદીમાં 34 હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ

ડેમના ગેટ ખોલાતાં જ કરજણ નદીમાં તબક્કાવાર 34,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી છોડાયેલા આ વિપુલ જળજથ્થાના કારણે કરજણ નદી ધસમસતા પ્રવાહ સાથે બે કાંઠે વહેતી થઈ છે અને નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

નીચાણવાળા ગામોને તંત્રનું એલર્ટ

કરજણ નદીમાં પાણી છોડાતાં જ નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ થઈ ગયું છે. નદીના નીચાણવાળા ભાગમાં આવેલા તટીય ગામોના ગ્રામજનોને સલામત સ્થળે રહેવા અને નદીના પટમાં કે કિનારે ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા કાંઠાના વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળાય.

આ પણ વાંચો: Rajkot: બસ પોર્ટ પાછળ મોડી રાત્રે કાર ચાલકે સર્જ્યો અકસ્માત, બેકાબૂ કારની હડફેટે આવતાં 2 લોકોને ઈજા