સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક ચિંતાજનક રીતે વધી રહી છે. લખતર વાળા પર આવેલું ઐતિહાસિક ફાટસર તળાવ ઉપરવાસમાંથી થયેલી પાણીની પુષ્કળ આવકના કારણે ઓવરફ્લો થઈ ગયું હતું. પાણીનું સખત દબાણ વધતાં તળાવના પાળમાં એકસાથે 3 જગ્યાએ મોટું ભંગાણ પડ્યું હતું અને તળાવ તૂટી ગયું હતું.
તળાવના ધસમસતા પાણી લખતર શહેરમાં ઘૂસ્યા
ફાટસર તળાવમાં 3 જગ્યાએથી ભંગાણ સર્જાતાં જ લાખો ગેલન પાણી ધસમસતા પ્રવાહ સાથે બહાર ધસી આવ્યા હતા. જોતજોતામાં તળાવના પૂરના પાણી લખતર શહેરમાં ઘૂસી ગયા હતા. શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.

