સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામ નજીક આવેલા એક ખેતરમાં ખેતીકામ માટે ગયેલા પરિવારના 5 લોકો અને 6 મહિનાનું માસૂમ બાળક અચાનક પૂરના પાણી આવી જતાં ચારેય તરફથી ઘેરાઈ ગયા હતા.
પ્રાંત અધિકારી અને ફાયરની ટીમે મોરચો સંભાળ્યો
ઘટના અંગે તંત્રને જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. વઢવાણ પ્રાંત અધિકારી, પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ હોડીઓ સહિતના બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે માસૂમ બાળક અને અન્ય નાગરિકોનો જીવ જોખમમાં હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.


