વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં મેઘરાજાએ અત્યાર સુધીનું સૌથી આક્રમક સ્વરૂપ ધારણ કરી ભારે તબાહી મચાવી છે. ઉમરગામમાં મોસમનો કુલ 45 ઇંચ જેટલો જંગી વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના કુલ 52 ગામો પૈકી 8 ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
હુમરણ ગામનો બ્રિજ વારોલી નદીના પ્રવાહમાં તૂટ્યો
ભારે વરસાદ અને જળપ્રલયના કારણે વારોલી નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે હુમરણ ગામનો મહત્વનો બ્રિજ તણાઈને તૂટી ગયો છે. પુલ ધરાશાયી થવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે તેમજ સતત વરસાદના પગલે અનેક મુખ્ય તથા આંતરિક રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને જોખમી બની ગઈ છે, જેનાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે.
