અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી અને વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. થલતેજ વિસ્તારમાં આવેલા પેલેડિયમ રોડ પર અચાનક મોટો ભુવો પડ્યો હોય તેમ અડધો કિલોમીટર જેટલો લાંબો રસ્તો બેસી ગયો છે. રસ્તો બેસી જવાના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે મોટો ખતરો પેદા થયો છે.

વાહન ચાલકોના મનપા પર ગંભીર આક્ષેપ

ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, થોડા સમય પહેલા જ આ રોડ પર અંડરગ્રાઉન્ડ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તેમાં યોગ્ય માટી કે કાંકરીનું પુરાણ કરવામાં આવ્યું નહોતું. જેના કારણે થોડા જ સમયમાં રસ્તાની આ અત્યંત ખરાબ અને જોખમી દશા થઈ ગઈ છે.

અકસ્માત થવાનો મોટો ભય

બહારથી આ વિસ્તારમાં આવતા નવા વાહનચાલકો અને અજાણ્યા લોકોને અકસ્માત થવાનો મોટો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક નાગરિકોએ સરકાર અને તંત્ર સામે રોષ વ્યક્ત કરતા માંગ કરી છે કે આ અંગે તાત્કાલિક કડક ધ્યાન આપવામાં આવે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે રસ્તો પૂર્વવત કરવામાં આવે.

આ પણ વાંચો : Monsoon News : ઘુમામાં તંત્રના દાવાઓની પોલ ખુલ્લી, 40 કલાક વીતવા છતાં પાણીનો નિકાલ નહીં