મોરબી જિલ્લાના હળવદમાં આવેલી એક ખાનગી શાળામાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે.હળવદની જાણીતી સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા અંદાજે 30 જેટલા માસૂમ વિદ્યાર્થીઓને શિક્ષક અને શાળાના આચાર્ય દ્વારા નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કેટલાક વિદ્યાર્થીઓને સ્પેલિંગ પૂછવામાં આવ્યા હતા
ધોરણ 9ના વર્ગખંડમાં અંગ્રેજી વિષયના શિક્ષણ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને સ્પેલિંગ પૂછવામાં આવ્યા હતા.સ્પેલિંગ ન આવડવા જેવી સામાન્ય બાબત પર ઉશ્કેરાઈ જઈને શિક્ષકે વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડ્યો હતો.વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય મયુર સાહેબ દ્વારા પણ તેઓને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. શિક્ષક અને આચાર્યના ગુસ્સાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓની હાલત જોઈને વાલીઓ પણ ધ્રુજી ઉઠ્યા હતા.મારના કારણે માસૂમ વિદ્યાર્થીઓના શરીર પર પીઠના ભાગે અને હાથપગ પર ગંભીર પ્રકારના લાલચોળ ચાઠા પડી ગયા છે.
