મોરબી જિલ્લામાં મેઘરાજાએ વિરાટ રૂપ ધારણ કરી સમગ્ર પંથકને જળમગ્ન કરી દીધો છે. મોરબી અને આસપાસના વિસ્તારોમાં ચોવીસ કલાક દરમિયાન 8 ઇંચથી પણ વધુ આકાશી આફત રૂપી વરસાદ ખાબકતાં તમામ નદી-નાળાં બે કાંઠે ઉભરાઈ રહ્યા છે. ભારે વરસાદને પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમમાં બમ્પર પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલીને નદીમાં કાળજાળ જળજથ્થો છોડવામાં આવ્યો છે.

મોરબીમાં નદી-નાળાં બે કાંઠે ઉભરાઈ રહ્યા

મચ્છુ ડેમમાંથી છોડાયેલા પૂરના ધસમસતા પાણી નીચાણવાળા માળિયા પંથક સુધી પહોંચી ગયા છે. પાણીનું સ્તર ભયજનક રીતે વધતાં અને પ્રવાહ અત્યંત ઝડપી હોવાથી માળિયા નજીક મચ્છુ નદી પર આવેલો મુખ્ય પુલ સલામતીના ભાગરૂપે ભારે વાહનો માટે બંધ કરી દેવાયો છે. તંત્ર દ્વારા પુલના બંને છેડે કડક બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

કચ્છના રણ તરફ ધસી રહ્યા છે પૂરના પાણી

ડેમમાંથી મુક્ત કરાયેલો મચ્છુ નદીનો રૌદ્ર પ્રવાહ માળિયા થઈને કચ્છના રણ તરફ આગળ વધી રહ્યો છે. માળિયા તાલુકાના નદી કાંઠે આવેલા ગામોમાં પાણી ઘૂસી જવાની દહેશતને પગલે મોરબી જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક ગામોને સાબદા કરવામાં આવ્યા છે.

નદીની પૂર સપાટી પર નજર 

સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને બ્રિજ પરથી જોખમી રીતે પસાર ન થવા અને તંત્ર દ્વારા દર્શાવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા કડક સૂચના આપવામાં આવી છે. મામલતદાર અને વહીવટી ટીમ માળિયા બ્રિજ તેમજ નદીની પૂર સપાટી પર રાઉન્ડ ધ ક્લોક નજર રાખી રહી છે.

આ પણ વાંચો: Gandhinagar: રહેમરાહે નોકરી મેળવનારાઓને મળશે જૂની પેન્શન યોજના (OPS) નો લાભ, 3 માસમાં અરજી ફરજિયાત