મોરબી શહેરના ગીચ અને ધમધમતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના દાવાઓની હવા કાઢી નાખી છે. જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલી 'રાધાકૃષ્ણ જ્વેલર્સ' નામની સોના-ચાંદીના દાગીનાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. મોડી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ચાલાકીપૂર્વક દુકાનની પાછળની દિવાલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
ચોરીથી સ્થાનિક વેપારીઓમાં ફાળ
સવારે ચોરીની જાણ થતાં જ દુકાનમાલિક સહિત આસપાસના વેપારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચોરીની આ ઘટનાથી મોરબીના વેપારી આલમમાં ભારે ભય અને ચકચાર વ્યાપી ગઈ છે. તસ્કરો આ રાત્રિ દરોડા દરમિયાન દુકાનમાંથી કુલ રૂ. 17.24 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા છે. ચોરી થયેલા સામાનની વિગતો મુજબ, તસ્કરો 24 ગ્રામ સોનાના દાગીના, 6 કિલો 250 ગ્રામ ચાંદીના ઘરેણાં તેમજ 1.5 કિલો ચાંદીનો ભંગાર મળીને મોટી મત્તા ચોરી ગયા છે.
